હળવદ તાલુકાના જૂના ઈશનપુર ગામે તળાવની પાળે ભેંસોને પાણી પીવડાવવા ગયેલા યુવક સાથે જૂના મનદુઃખને લઈને મારામારી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. 15 દિવસ અગાઉ જમવા જવાની વાતે થયેલા મનદુઃખનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવકને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, જૂના ઈશનપુર ગામે રહેતા હરસિદ્ધચંદ્ર લધાભાઈ મકવાણાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી લાલાભાઈ પરમાર (રહે. કડી ગામ), હીરાભાઈ ડાયાભાઈ સોલંકી અને સુનિલભાઈ ગોવિંદભાઈ પરમાર (બંને રહે. ઈશનપુર ગામ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, આશરે 15 દિવસ અગાઉ હરસિદ્ધચંદ્ર આરોપી લાલાભાઈના ભાઈ સાથે તેમના ઘરે જમવા ગયા હતા. ત્યારબાદ લાલાભાઈએ ફરિયાદીને પોતાના ઘરે જમવા આવવાનું કહેતા ફરિયાદીએ ના પાડી હતી. આ બાબત લાલાભાઈને પસંદ ન આવતા તેમણે ફરિયાદી સાથે મનદુઃખ રાખ્યું હતું.
દરમિયાન ફરિયાદી તળાવની પાળે ભેંસોને પાણી પીવડાવવા ગયા હતા ત્યારે લાલાભાઈ સહિતના ત્રણેય શખ્સોએ તેમની સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. બાદમાં લાલાભાઈએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને હાથમાં ઈંટ રાખી ફરિયાદીના છાતીના ભાગે ઈજા પહોંચાડી હતી. જ્યારે સુનિલભાઈ અને હીરાભાઈએ ફરિયાદીને પકડી રાખી ગાળો આપી હતી. આ ઉપરાંત ત્રણેયે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
આ બનાવ અંગે હરસિદ્ધચંદ્ર મકવાણાની ફરિયાદના આધારે હળવદ તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

