વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે મારામારી અને ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ મામલે ગામમાં રહેતા ભરતભાઈ કાળુભાઈ વોરાએ તેમના જ ગામના રવજીભાઈ મેઘજીભાઈ વોરા, કાન્તીભાઈ વોરા, દીલીપભાઈ રવજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને સુરેશભાઈ જેઠાભાઈ વોરા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ભરતભાઈ ગામમાં આવેલી રવજીભાઈની કરિયાણાની દુકાને સામાન ખરીદવા ગયા હતા. તે દરમિયાન આરોપીએ બંને પરિવારો વચ્ચે અગાઉથી વ્યવહાર ન હોવાનો ખાર રાખીને ફરિયાદીને દુકાને કરિયાણું લેવા નહીં આવવાનું કહી અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ લાકડાના ધોકાથી હુમલો કરી શરીરે ઇજા પહોંચાડી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, ત્યારબાદ અન્ય ચારેય આરોપીઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને તેમણે પણ ફરિયાદી તેમજ તેમની સાથે રહેલા વ્યક્તિને ગાળો આપી લાકડીઓ અને પાઇપ વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.
વાંકાનેર સીટી પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

