મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવેલા આંદરણા-સનાળા (તળાવીયા) માર્ગ પર આવેલી ઘોડાધ્રોઈ નદીના કોઝ-વે પરથી પૂરના પાણી ઓસરતાં વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે. માર્ગની સલામતી અને વાહનવ્યવહારની સ્થિતિની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સ્થળ પર પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
કલેક્ટરે સૂચના આપી હતી કે, જિલ્લામાં જ્યાં હજુ પણ માર્ગો અથવા કોઝ-વે પર પાણીનું ઓવરટોપિંગ થઈ રહ્યું હોય ત્યાં તાત્કાલિક બેરિકેટિંગ કરી વાહનવ્યવહાર બંધ રાખવામાં આવે તેમજ જરૂર જણાય ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
સ્થળ મુલાકાત દરમિયાન મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના કાર્યપાલક ઇજનેર દિવ્યેશ બાવરવા તથા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર હરદીપ છૈયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

