મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં બ્રાહ્મણી-2 ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના પ્રવાહને કારણે મયુરનગર થી રાયસંગપર રોડ પર આવેલા કોઝવેનો એક તરફનો ભાગ ધોવાઈ ગયો છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક નાગરિકોની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા પાણીનું સ્તર ઘટતાની સાથે જ આ માર્ગનું સમારકામ હાથ ધરીને વાહનવ્યવહાર પુનઃ ઝડપથી પૂર્વવત કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકો તથા ગ્રામજનોને સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, ધોવાયેલા કોઝવે પરથી પસાર થવાનું સાહસ ન કરવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી માર્ગદર્શિકાઓને અનુસરીને સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

