વાંકાનેર શહેરની ગુલશનપાર્ક સોસાયટી વિસ્તારમાં એક વ્યક્તિ કોઈપણ માન્ય તબીબી ડિગ્રી વિના દર્દીઓની સારવાર કરતો હોવાની માહિતી પોલીસ કંટ્રોલ રૂમને મળી હતી. આ માહિતીના આધારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની ટીમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે સાંજના સમયે ગુલશનપાર્ક સોસાયટીમાં આવેલા એક મકાનમાં દરોડો પાડતા ત્યાં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ડો. જે.કે. પઠાણ નામથી ઓળખ આપતો જાકિરખાન બસીરખાન પઠાણ કોઈપણ પ્રકારની માન્ય ડિગ્રી વિના હરસ, મસા, ભગંદર અને ફિશર જેવી બીમારીઓની આયુર્વેદિક તેમજ એલોપેથીક સારવાર કરતો હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત દર્દીઓને દવાઓ અને ઇન્જેક્શન પણ આપવામાં આવતા હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસે સ્થળ પરથી રૂ. 3,000નો મુદ્દામાલ કબજે કરી જાકિરખાન બસીરખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. આ મામલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

