મોરબીના જેતપર ખાતે વિજપોલના યોગ્ય વળતરની માંગ સાથે ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે 9મો દિવસ છે, અને હવે આ લડત વધુ ઉગ્ર અને રાજકીય વળાંક તરફ ફંટાઈ રહી છે. આંદોલનના સમર્થનમાં આંદરણા ગ્રામ પંચાયત દ્વારા સરકારને 48 કલાકમાં યોગ્ય નિર્ણય લાવવાનું અલ્ટીમેટમ આપી સામુહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે, આંદરણા ગામ સમસ્ત દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેના બેનરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
જેમાં ગ્રામજનોએ ખુલ્લેઆમ સત્તાધારી પક્ષ ભાજપના બહિષ્કારની જાહેરાત કરી દીધી છે. બેનર પર સ્પષ્ટ અક્ષરોમાં લખવામાં આવ્યું છે કે, “હાલમાં જે કિસાન આંદોલન જેતપર ખાતે ચાલે છે ખેડૂતોની માંગણી સંતોષવામાં નહિ આવે તો આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે આંદરણા ગામે મત માંગવા આવવું નહિ.”
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પણ આ આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. વિજપોલના વળતર મુદ્દે હવે સમગ્ર પંથકના ખેડૂતો એકજુટ થઈ ગયા છે. આંદરણા ગામના સરપંચ, ઉપસરપંચ સહિતના તમામ પંચાયત સભ્યોએ જો આગામી કલાકોમાં સરકાર કોઈ સકારાત્મક ઉકેલ નહીં લાવે તો સામુહિક રાજીનામાં આપવાની જાહેરાત કરી દીધી છે, અને બીજી તરફ ગામમાં ભાજપના પ્રવેશબંધી જેવા આકરા બેનરો લાગતા હવે આ મામલો રાજ્ય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. સત્તાધારી પક્ષ અને તંત્ર આ મામલે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

