મોરબીના ફડસર ગામના મૂળ રહેવાસી અને હાલ રાજકોટ ખાતે રિક્ષા ચલાવી પરિવારનું ભરણપોષણ કરતા એક આધેડે વ્યાજખોરના સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ફડસર ગામના વતની અને હાલ રાજકોટના મોરબી રોડ જકાતનાકા વિસ્તારમાં રહેતા ભગવાનભાઈ નાગાજણભાઈ બાળા (ઉંમર 45)એ ફડસર ગામના દેવજીભાઈ કાળુભાઈ બાળા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમણે આરોપી પાસેથી રૂ. 4 લાખની રકમ 5 ટકા વ્યાજે ઉધાર લીધી હતી.
છેલ્લા ચાર મહિનાથી દર મહિને રૂ. 20 હજાર મુજબનું વ્યાજ ચૂકવી શક્યા ન હોવાથી આરોપીએ ફોન કરીને તેમને ફડસર ગામે બોલાવ્યા હતા. ત્યાં પહોંચતા પૈસાની ઉઘરાણી કરી તાત્કાલિક રકમ પરત આપવા દબાણ કર્યું હતું તેમજ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદ મુજબ, વ્યાજખોરના દબાણ અને જમીન સંબંધિત કબજાના તણાવને કારણે ભગવાનભાઈ ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા. જેના કારણે તેમણે પોતાના ઘરે બાથરૂમમાં રાખેલી ફિનાઈલ પી લીધી હતી. ત્યારબાદ તેમની તબિયત બગડતાં અને ઉલ્ટીઓ શરૂ થતાં તેમના નાના ભાઈ આપાભાઈએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી દેવજીભાઈ બાળા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

