મોરબીના રાજપર ગામના નવા પ્લોટ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય સવજીભાઈ દેવજીભાઈ ધોળકિયાએ હસમુખભાઈ ભરતભાઈ ધોળકિયા, ભાવજીભાઈ રવજીભાઈ ધોળકિયા (રહે. સકત શનાળા, મોરબી) તથા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, સવજીભાઈ રાજપર ગામથી પંચાસર જતા કાચા રસ્તા પર આવેલા સ્મશાન ખાતે પક્ષીઓને ચણ નાખવા ગયા હતા. તે દરમિયાન આરોપીઓ ફોરવીલ કારમાં ત્યાં આવી પહોંચ્યા હતા. આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી તેમના પુત્ર ખુશાલની રિદ્ધિ સાથે સગાઈ કેમ કરી તે બાબતે ઉગ્ર બોલાચાલી કરી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે, રિદ્ધિના અગાઉ તેમના સાથે લગ્ન થયા હતા અને છૂટાછેડા થયા હતા તેમજ સગાઈ ન કરવા માટે અગાઉથી મનાઈ પણ કરવામાં આવી હતી.
આ દરમિયાન હસમુખભાઈએ લોખંડના પાઈપ વડે સવજીભાઈને માર મારી ઇજા પહોંચાડી હતી. ભાવજીભાઈએ લાકડાના ધોકા વડે હુમલો કરી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી, જ્યારે અજાણ્યા શખ્સે લાકડાના ધોકાથી જમણા પગના સાથળના ભાગે ઇજા પહોંચાડી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

