વાંકાનેરના આર.કે.નગર(નવાપરા) વિસ્તારમાં રહેતા અને ભુંડ પકડવાનું કામ કરતા નારણસિંહ જર્નેલસિંહ બગ્ગા દ્વારા હળવદ પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીઓમાં કિર્તીનસિંહ અને બલદેવસિંહ (બંને ધ્રાંગધ્રા તાલુકાના ગામના રહેવાસી) તેમજ પ્યારાસિંહ અને હરમિન્દરસિંહ (બંને હળવદ તાલુકાના રહેવાસી)નો સમાવેશ થાય છે.
ફરિયાદ મુજબ, નારણસિંહ અને તેમના સાથીદારો હળવદ તાલુકાના મિયાણી વિસ્તારમાં ભુંડ પકડવા ગયા હતા. ત્યારે આરોપીઓએ “અમારા વિસ્તારમાં કેમ આવો છો?” કહી બોલાચાલી શરૂ કરી હતી. બાદમાં મામલો ઉગ્ર બનતા આરોપીઓએ તલવાર અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.
આ હુમલામાં નારણસિંહને કપાળના ભાગે તલવારથી ઈજા પહોંચાડી હતી. તેમ જ તેમના સાથી જશવીરસિંધને પણ તલવારથી ઘા મારવામાં આવ્યા હતા, જ્યારે ગુરમુખસિંહને ડાબા પગમાં લાકડાના ઘા મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. આરોપીઓએ ગાળો આપી મારપીટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ ઘટનાને લઈને હળવદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

