મોરબી મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાએ વર્ષ 2025-26ના મિલકત વેરા તેમજ અન્ય ટેક્સના બાકીદારો પાસેથી વસૂલાત માટે કડક પગલાં લેવાની કામગીરી તેજ કરી છે. અત્યાર સુધીમાં 634 મિલકતધારકોને વોરંટ જારી કરવામાં આવ્યા છે, જ્યારે 88 મિલકતોને સીલ કરી દેવામાં આવી છે.
મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે, મિલકત વેરો ન ભરનાર આસામીઓને વોરંટ બજવણી અને સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાંથી રૂ. 26.55 કરોડ અને ક્લસ્ટર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી રૂ. 2.53 કરોડની વસૂલાત થઈ છે. આ વચ્ચે 24 બાકીદારોએ બાકી રકમ ભરી દેતાં તેમની મિલકતોના સીલ ખોલી દેવામાં આવ્યા છે.
રહેણાંક મિલકતોમાં વેરો બાકી રહેલા 2 આસામીઓના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રૂ. 10,000થી વધુ બાકી ધરાવતી દરેક રહેણાંક મિલકતને વોરંટ રૂબરૂ તેમજ મોબાઈલ દ્વારા આપવામાં આવશે. જો ટેક્સ ભરવામાં ન આવે તો તેવી મિલકતોના નળ અને ડ્રેનેજ કનેક્શન પણ કાપી નાખવામાં આવશે.
મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા તમામ ક્લસ્ટર ઓફિસમાં 31 માર્ચ 2026 સુધી દર શનિવારે મિલકત વેરો સ્વીકારવામાં આવશે. જે બાકીદારો ટેક્સ નહીં ભરે તેમની મિલકત પર 18% વ્યાજ લાગુ કરવામાં આવશે. વોરંટ બજવણી અને સીલિંગની કાર્યવાહી નિયમિત રીતે ચાલુ રહેશે.
મહાનગરપાલિકાએ બાકીદારોને અપીલ કરી છે કે તેઓ તાત્કાલિક વેરો ભરી દે અને કાર્યવાહીથી બચી શકે. વધુ માહિતી માટે મહાનગરપાલિકાની કચેરી અથવા enagar.gujarat.gov.in પોર્ટલનો સંપર્ક કરી શકાય છે.

