મોરબી શહેરમાં જર્જરિત અને જોખમી બાંધકામોને કારણે સર્જાતી સંભવિત દુર્ઘટનાઓ રોકવા માટે મોરબી મહાનગરપાલિકાએ ‘ખાસ અભિયાન ચલાવ્યું છે. જે અંતર્ગત જાહેર સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને મનપાની બિલ્ડીંગ શાખા દ્વારા જોખમી ઇમારતો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
કાયદાકીય સકંજો અને કાર્યવાહી:
-
નોટિસની અમલવારી: ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ (GPMC Act), 1949ની કલમ-૨૬૪ હેઠળ મિલકત ધારકોને ત્રણ તબક્કામાં નોટિસ પાઠવવામાં આવી હતી.
-
જોડાણો રદ: વારંવારની સૂચના છતાં જોખમ યથાવત રહેતા, કલમ-૨૬૮ અન્વયે હુકમ કરી અંદાજિત ૯૦ મિલકતોના પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.
-
વીજ કાપ: કડક પગલાંના ભાગરૂપે અત્યાર સુધીમાં ૩૦ જેટલી મિલકતોના વીજ જોડાણો પણ રદ કરી દેવામાં આવ્યા છે, જેથી આ જોખમી બાંધકામોનો ઉપયોગ થતો અટકાવી શકાય.
કામગીરીનો અહેવાલ:
મનપાની આ ઝુંબેશને પગલે અત્યાર સુધીમાં અંદાજિત ૮૦ જેટલી મિલકતોમાંથી જોખમી ભાગો ઉતારી લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર માર્ગો પરથી પસાર થતા નાગરિકો અને આસપાસના રહીશોની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
તંત્રની નગરજનોને અપીલ:
મોરબી મહાનગરપાલિકાની બિલ્ડીંગ શાખાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી સમયમાં પણ આ ઝુંબેશ યથાવત રહેશે. મનપાએ મિલકત માલિકોને નીચે મુજબના સહકાર માટે અનુરોધ કર્યો છે:
-
મનપાની નોટિસનું તાત્કાલિક પાલન કરી સહકાર આપવો.
-
જોખમી જણાતી ઇમારતોનો વપરાશ તુરંત બંધ કરવો.
-
રહેવા અયોગ્ય બિલ્ડીંગોને મંજૂરી મેળવી તાકીદે ઉતારી લેવી અથવા તેને રિપેર કરાવી વપરાશ યોગ્ય બનાવવી.
“નાગરિકોની સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે, અને તેમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.” – મોરબી મહાનગરપાલિકા

