હળવદ તાલુકાના કવાડિયા ગામમાં રહેતા વિરમભાઈ ઉર્ફે હક્કો ધનજીભાઈ કોપાણીયા નામના યુવકની પત્ની છેલ્લા બે મહિનાથી પિયરવાસે રહેતી હતી. પત્ની સાથેના મતભેદના કારણે યુવક માનસિક રીતે વ્યથિત રહેતો હતો. કામધંધામાં સ્થિરતા ન આવે ત્યાં સુધી કવાડિયા પરત ન આવવાની પત્નીએ સ્પષ્ટ ના પાડી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ પરિસ્થિતિથી ભારે નિરાશ થયેલા યુવકે અંતે પોતાની વાડીમાં જઈ ગઈકાલના રોજ ઝાડની ડાળ સાથે દોરડું બાંધી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં હળવદ તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી સમગ્ર બનાવની વધુ તપાસ શરૂ કરી છે.

