મોરબી જિલ્લા પોલીસનો ગંભીર ગુના ઉકેલ્યા હોવાનો દાવો
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારુ રાખવા માટે જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન હાથ ધરાયેલી કામગીરીનું આજે રાજકોટ રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના વિગતવાર આંકડા અને પ્રગતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ જિલ્લામાં ગંભીર ગુનાઓ તેમજ ચોરી જેવી ઘટનાઓ ઉકેલવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. ચાલુ વર્ષ દરમિયાન લૂંટના કેસોમાં 83 ટકા, ધાડના તમામ એટલે કે 100 ટકા, ઘરફોડીના 71 ટકા તેમજ વાહન અને અન્ય ચોરીના ગુનાઓમાં 74 ટકા કેસો ઉકેલવામાં આવ્યા હોવાનું દાવો કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત હત્યા, હત્યાના પ્રયાસ તથા ગંભીર ઇજાના બનાવોમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી ઝડપીને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ પોલીસ દ્વારા જણાવાયું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વર્ષ દરમિયાન કુલ 45 નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું પોલીસનું કહેવું છે, જેમાંથી 38 અન્ય જિલ્લાઓના હોવાનું જણાવાયું છે.
આ સાથે જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જળવાય તે હેતુસર વર્ષ દરમિયાન અલગ-અલગ ગુનાઓ હેઠળ કુલ 15,728 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 97 આરોપીઓ સામે પાસા તેમજ 92 આરોપીઓ સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

