બાલાસિનોર તાલુકાના વસાદરા ગ્રામપંચાયતમાં આવેલા ભમરીયા ગામમાં એક એવી ઘટના બની છે જેના પરથી બાળકો અને તેમના વાલીઓએ શીખ લેવી જોઈએ. ઘણીવાર એવી ઘટના બનતી હોય છે કે ચાલુ ચાર્જિંગમાં ફોન પર વાત કરતા હોવાને કારણે અથવા ચાર્જિંગમાં ફોન મુકીને સુઈ ગયા હોવાને કારણે ફોનમાં બ્લાસ્ટ થતો હોય છે. પણ 14 વર્ષના કિશોર સાથે આ જ પ્રકારની દુર્ઘટના બની છે. કિશોરનો ફોન ચાર્જ થઈ રહ્યો હતો. ડાબા હાથમાં ફોન મૂકીને તે ગેમ રમતો હતો. ફોનમાં બ્લાસ્ટ થતા તેના ડાબા હાથની પાંચે આંગળીઓના ટેરવા ઈજાગ્રસ્ત થયા હતા.
ભારે ઈજાને કારણે કિશોરને તાત્કાલિકત બાયડ ખાતે આવેલી ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબોએ તાત્કાલિકત ઓપરેશન કર્યુ હતું, કિશોરની પાંચેય આંગળીઓના ટેરવાને કાયમી ધોરણે નાશ પામ્યા છે. હવે તે આજીવન આ ટેરવાનો ઉપયોગ નહીં કરી શકે. કિશોરનું નામ પરમાર અજયકુમાર સરદારભાઈ છે. તેના પિતા પરમાર સરદારભાઈ સોમાભાઈ ગરીબ પરિવારથી આવે છે. કિશોર અજયકુમાર નાની ઉંમરથી સાંભળી નથી શકતો. તે ગોધરા ખાતે આવેલી મૂકબધિર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. દીકરામાં કુદરતી ખોટ હોવાને કારણે માતા-પિતા હંમેશા ચિંતામાં રહેતા હતા. તેઓ શક્ય હોય તેટલી દીકરાની ઈચ્છાઓ પૂરી કરીને તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા હતા.
હવે પોતાના લાડલા દીકરા સાથે આવી દુર્ઘટના થતા માતા-પિતા અત્યંત ચિંતાતૂર બની ગયા છે. અજયકુમારના ડાબા હાથની પાંચે આંગળીઓના ટેરવાઓના છુંદેછુંદા નીકળી ગયા છે. ઓર્થોપેડિક હોસ્પિટલમાં તેની તાત્કાલિક સારવાર કરવામાં આવી. તબીબોએ ઓપરેશન કર્યુ પરંતુ તેમના જણાવ્યા અનુસાર આંગળીઓને કાયમી નુકસાન થયું છે.

