રાજ્યમાં પશુ આરોગ્ય સેવાને છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 255 નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના કરવામાં આવી છે. સાથે જ, ચાલુ વર્ષ 2025-26માં પણ નવા 200 સ્થાયી પશુ દવાખાના સ્થાપવા માટે મંજૂરી આપવામાં આવી છે. તેવો દાવો રાજ્ય સરકારના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કર્યો હતો.
આ ઉપરાંત કચ્છ જિલ્લા માટે પુછાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લામાં રાજ્ય સરકારે 373 પશુ આરોગ્ય મેળાનું આયોજન કરીને કુલ 2.24 લાખ પશુઓને યોગ્ય સારવાર આપી છે. હાલ કચ્છ જિલ્લામાં એક વેટરનરી પોલીટેકનીક, 47 પશુ દવાખાના, 29 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર અને 32 મોબાઈલ પશુ દવાખાના મળીને કુલ 109 એકમો દ્વારા પશુઓને સારવાર આપવામાં આવી રહી છે.
વિધાનસભા ખાતે ચાલી રહેલા ચોમાસું સત્રમાં વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબમાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેતીના પૂરક વ્યવસાય તરીકે સુપ્રસિદ્ધ પશુપાલન વ્યવસાયને રાજ્યમાં દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવી રહ્યા છે. જેના માટે પશુ સંવર્ધન અને પશુ આરોગ્ય સુવિધાના વિકાસને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના અબડાસા, નખત્રાણા, ભચાઉ, સમખિયારી, ભુજ, માંડવી, મુન્દ્રા અને લખપત તાલુકામાં મળી કચ્છમાં કુલ 12 નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.