વાંકાનેર બાઉન્ડ્રી નજીક રીક્ષા, બસ અને સ્કોર્પિયો વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો, આ બનાવમાં એકનું મોત નીપજ્યું છે.
બનાવની મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે રહેતા જયેશભાઇ ગોવિંદભાઇ સરવૈયા પાડોશીની સીએનજી રીક્ષા લઈ પોતાના ભત્રીજા અને અન્ય પાડોશીઓ સાથે કાલાવડના નિકાવા ગામે પીરના દર્શન કરી પરત આવી રહ્યા હતા. ત્યારે જયેશભાઇએ તેમના ભત્રીજાને વાંકાનેરના ઠીકરિયાળી ગામે રહેતા બહેનના ઘેર મુક્યો હોય લેવા જતા હતા. ત્યારે બાઉન્ડ્રી નજીક GJ-03-BT-9033 નંબરની મહાસાગર ટ્રાવેલ્સની બસના ચાલકે પુરઝડપે અને બેદકારીપૂર્વક બસ ચલાવી ઠીકરિયાળી ગામના પાટિયા પાસે રીક્ષાને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત સમયે જ લકઝરી બસના ચાલકે અન્ય સ્કોર્પિયો ગાડીને પણ હડફેટે લેતા ત્રિપલ અકસ્માત થયો હતો. જે બનાવમાં રીક્ષા ચાલક જયેશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રીક્ષામાં બેઠેલા અશ્વિનભાઈ અને અન્ય બે મહિલાઓને ઇજાઓ પહોંચી હતી. જો કે અકસ્માત સર્જ્યા બાદ લકઝરી બસનો ચાલક રાજકોટ તરફ નાસી ગયો હતો. આ મામલે મૃતકના ભાઈ મહાદેવભાઈ ગોવિંદભાઇ સરવૈયાએ બસ ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

