મોરબી શહેરના સમાકાંઠા વોર્ડ નંબર-3માં આવેલી અરૂણોદયનગર સોસાયટીમાં જૈન દેરાસરની બાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટરની લાઈન અતિ બિસમાર હાલતમાં હોય અને આ ગટરના પાણી લોકોના ઘરોમાં નીકળી રહ્યા હોય, જેથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યા પ્રમાણે, આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટની લાઈન અતિ બિસમાર હાલતમાં હોવાથી ગટરના પાણી ઘરમાં નીકળી રહ્યા છે. ગંદા પાણીથી મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધી ગયો છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે નગરપાલિકાની ટીમ છેલ્લા 15 દિવસથી ફોટો સેશન કરીને જ જશ લેશે કે પછી નક્કર કામગીરી કરશે ? સ્વચ્છતા અભિયાન મિશન એ એક માત્ર નાટક હોય તેવો આક્ષેપ કર્યો છે. તેથી તાત્કાલિક ધોરણે ગટરનું રિપેરિંગ કરી પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

