માળીયા મીયાણા તાલુકાના બગસરા ગામેં મીઠા ઉદ્યોગકારોના લાંબા સમયથી દોડતા મીઠું ભરેલા અને ઓવરલોડ અને તાલતત્રી વગરના ડમ્પરો અને ટ્રકોના ત્રાસમાંથી ગામલોકોને ક્યારે મુક્તિ મળશે એ નક્કી જ નથી. બગસરા ગામ નજીક અને હદમાં મોટાપાયે મીઠાના ઉદ્યોગપતિ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે મીઠું ઉત્પાદન કરી અને પરીવહન કરવા માટે ગામ વચ્ચે અને ખેડૂતના સીમ રસ્તામાં ખુલ્લેઆમ પોતાના ભારે વાહનો ચલાવતા ખેતરોમાં મીઠું ઢળતું હોવાથી ખેતીની જમીનમાં ખારાશ વધી જાય છે અને આવી રીતે મીઠું વાહનોથી નીચે ખેતીમાં પડતું રહેશે તો ખેતીની જમીનની ફળદ્રુપતા ઘટી જશે. તેમજ ગામની ગૌચરની જમીનની પણ આવી બદતર હાલત થઈ જવાની શક્યતા છે. અને ત્યાં નજીક બગસરાની પ્રાથમિક શાળા આવેલી હોય ૨૦૦ થી વધારે બાળકો અભ્યાસ કરતા હોવાથી બેફામ ગતિએ દોડતા બાળકોના જીવ ઉપર જોખમ ઉભું થયું છે. ગામનું મુક્તિ ધામ, પાધર વાળા મેલડી માતાજીનું મંદિર અને ધાર્મિક જગ્યાઓ આવેલી હોય તેની સામે મીઠું ઢોરતા જાય અને ગામજનોએ વાવેલા અનેક વુક્ષો મીઠા અને ધૂળની ડમરીઓથી ભારે નુકશાન થાય છે. આ બાબતે અનેક રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ફરી ગામના સરપંચ મહેબૂબભાઈ સુમરાએ પ્રાંત અધિકારીને રજુઆત કરી છે.

