હળવદ હાઈવે પર અવાર નવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ગત રાત્રીના સમયે ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે. બનાવના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. તો સાથે સમાચાર વાયુવેગે પ્રસરી જતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે દલવાડી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જ્યારે અકસ્માતને લઈને હળવદ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
બનાવની મળતી માહિતી મુજબ હળવદના નવા ધનાળા નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રોંગ સાઈડમાં ભુસુ ભરીને આવતા ટ્રેક્ટર નંબર GJ-36-AF-5843 સાથે હળવદ શહેરમાંથી કથામાંથી પરત ફરતા બાઈક નંબર GJ-13-BB-6855નો અકસ્માત સર્જાતા ગોરધનભાઈ રવજીભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રિભોવનભાઈ નાનજીભાઈ કણઝરીયાને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા તેમનું પણ મોત નીપજ્યું હતું. જેથી કરીને હળવદના નવા ધનાળાના પાટીયા પાસે અકસ્માતમાં બન્નેના મોત નીપજ્યા હતા. જ્યારે ઘટના અંગે હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

