મોરબી જિલ્લામાં 9 માર્ચ 2024 ના નેશનલ લોક અદાલત યોજવા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે આ લોક અદાલતમાં અકસ્માત, બેન્ક લેણાં, ચેક રિટર્ન, લગ્ન સબંધી કેસોનું સમાધાનકારી નિકાલ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરિટી, નવી દિલ્હી દ્વારા દેશભરમાં આગામી 9 માર્ચે નેશનલ લોક અદાલતનું આયોજન કરવા અંગે આદેશ કરવામાં આવ્યો છે અને તેના અનુસંધાને મોરબી જિલ્લામાં પણ મુખ્ય જિલ્લા ન્યાયાધિશ પી.સી. જોષી ના માર્ગદર્શનમાં 9મી માર્ચે જિલ્લાની તમામ કોર્ટમાં લોક અદાલત યોજાશે.
આ લોક અદાલતમાં મોટર અકસ્માત, બેન્કલેણાં, ચેક રિટર્ન, સામાન્ય મારામારીના કેસો, મિલ્કત સબંધી દાવાઓ, મૂકવામાં આવનાર છે. લગ્ન સબંધી કેસો, સમાધાન પાત્ર ન હોય તે સિવાયના વિજળી, પાણીના બિલના કેસો, જમીન સંપાદનના કેસો, સર્વિસ મેટર વગેરે કેસોનો સમાધાનકારી નિકાલ કરવા પ્રયત્ન હાથ ધરવામાં આવશે. લોક અદાલતના કારણે નાણાં, સમયનો બચાવ થાય છે ત્યારે આ લોક અદાલતમાં પોતાનો કેસ મુકવા માંગતા પક્ષકારોએ પોતાના વકિલ મારફતે લાગુ પડતી જે તે કોર્ટનો સંપર્ક કરવા અથવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગ, બીજો માળ, મોરબી, ફોન નંબર 02822- 242614 પર સંપર્ક કરવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ અને સિનીયર સિવીલ જ્જ બી. એસ. ગઢવી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

