500 મીટરના અંતરે સરકારના બેસાણાં હોવા છતાંયે કોઈ જ પ્રતિક્રિયા ન મળતા ખેડૂતો વિફર્યા છે. ગાંધીનગરની બહાર કચ્છના સામખિયાળી બાદ શુક્રવારે સાંજે અમદાવાદ- મહેસાણા હાઈવે પર છત્રાલ પાસે ખેડૂતોએ વાહનો અટકાવીને ચક્કાજામ કર્યો હતો. RSS સંલગ્ન ભારતીય કિસાન સંઘે આંદોલનના 10મા દિવસે શનિવારે રાજ્યભરમાં હાઈવે બંધ કરાવવા અને ખેડૂતોના સમર્થનમાં માર્કેટયાર્ડ બંધ રાખવા એલાન કર્યુ છે.
ભારતીય કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષ જગમલ આર્યે ખેડૂતો અને દુધ ઉત્પાદકોના સમર્થનમાં ત્રીજી સપ્ટેમ્બરને શનિવારે માણસા, બાવળા, વિજાપૂર, કૂકરવાડા, કલોલ, દહેગામના માર્કેટયાર્ડ બંધ રહેશે તેમ જાહેર કર્યુ હતુ. બીજી તરફ મહાત્મા મંદિર અને સચિવાલયની વચ્ચે આવેલા સેન્ટ્રલ વિસ્ટ્રામાં 25 ઓગસ્ટથી ચાલી રહેલા સરકાર વિરોધી આંદોલનનો વ્યાપ રાજ્યભરમાં વધતા પોલીસ તંત્રને પોતાના તાબામાં ખેડૂતો દ્વારા હાઈવે પર વાહનો અટકાવવા રસ્તા ઉપર ન ઉતરે તેનું ધ્યાન રાખવા તાકીદ થઈ છે. કલોલ પાસેના છત્રાલ હાઈવે ઉપર શુક્રવારે ચક્કાજામને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતા.

