ખેડૂતોએ સફાઈ કરી પરંતુ જવાબદાર અધિકારીઓના આંખ આડા કાન
હળવદનો બ્રાહ્મણી-2 ડેમ એટલે કે શક્તિસાગર ડેમ જેમાંથી પીયત માટે વિવિધ ગામોને માઈનોર કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે પરંતુ તેની રખ રખાવ તેમજ સાફ સફાઈના ભારેખમ ટેન્ડરો મંજૂર કરી માત્ર કાગળો પર જ કામગીરી કરવામાં આવતી હોય તેવો ઘાટ સર્જાયો છે. આ કેનાલ મારફત મયુરનગર, ધનાળા, ચાડધ્રા અને ટીકર સહિતના ગામોને આશરે 15 હજાર વિઘાથી વધારે જમીનમાં પીયતનો લાભ મળે છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલ અંદર અને બાજુમાં ઝાડી ઝાંખરા સહિતનું દૂર કરવાનું કામ માત્ર કહેવા પૂરતું કરીને કેનાલમાં બાવળ દૂર કર્યા વગર જ કામગીરી પૂર્ણ કરી દેતા હાલ ખેડૂતો પોતાનો પાક બચાવવા તેમજ કેનાલને તૂટતી બચાવવા માટે જાતે સફાઈ કરવા મજબૂર બન્યા છે.
મળતી માહિતી અનુસાર હળવદના મયુરનગરના વિષ્ણુભાઈ કણઝરીયાએ જણાવ્યું હતું કે, અમારા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં બાવળો તેમજ ઝાડી ઝાંખરા દૂર કરવાનું તંત્ર ભૂલી જતા અમારે ખેડૂતોને સાથે મળીને સાફ કરવી પડી રહી છે. આ કેનાલમાંથી હળવદના શક્તિસાગર ડેમમાંથી માઈનોર કેનાલ વાટે ધનાળા, મયુરનગર, ચાડધ્રા ટીકર સહિતના ગામોને આશરે 15 હજારથી વધારે વીઘામાં પીયતનું પાણી આપવામાં આવે છે જ્યારે થોડા સમય પહેલા જ તંત્ર દ્વારા કેનાલ પર ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ આ કામગીરી અધૂરી રહી જતા અને પાણી આવી જતા કેનાલમાંથી બાવળો તેમજ ઝાડી ઝાંખરા સાફ કરવા ખેડૂતો મજબૂર બન્યા છે જોકે આ કેનાલની સાફ સફાઈ તેમજ જાળવણી માટે ભારેખમ ટેન્ડર મંજૂર થતું હોય છે પરંતુ તંત્ર દ્વારા કામગીરીમાં આંખ આડા કાન કરવામાં આવતા આખરે ખેડૂતોને કામગીરી કરવી પડતી હોય છે ત્યારે વારે ઘડીએ કેનાલ તૂટતા તેને બચાવવી તંત્ર જેટલી જ અમારી પણ ફરજ છે જેથી કરીને અમે ખેડૂતોએ સાથે મળીને કેનાલની સાફ સફાઈ હાથ ધરી હતી.


