સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. શહેરીજનોને ટ્રાફિકની હેરાનગતીમાંથી મુક્તિ આપવા માટે નવા ફ્લાયઓવર બનાવવા માટે રાજ્ય સરકારે પગલાં લીધા છે. માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રૂ।. 3760.64 કરોડના ખર્ચે નવા 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કર્યા છે.
3760.64 કરોડનો પ્લાન: મંત્રી પૂર્ણેશ મોદીએ ઉમેર્યું કે, ભારત સરકારે રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો માટેનો વર્ષ 2022-23નો રૂ. 3760.64 કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર કર્યો છે. જેમાં રૂા.2511.10 કરોડના રસ્તાના બાંધકામ અને નવા બ્રિજના બાંધકામો તેમજ રૂ।.1249.54 કરોડના પ્રી-કન્સ્ટ્રકશન એક્ટિવિટીના કામો હાથ ધરાશે. આ રસ્તાઓમાં નદીઓ ઉપર બ્રિજ, રેલવે ફાટક ઉપર આર.ઓ.બી/આર.યુ.બીનું નિર્માણ કરાશે, જેના થકી ફાટક-મુક્ત ગુજરાતના નિર્માણ થશે.

8 લેન રોડ અમદાવાદમાં: આ વાર્ષિક પ્લાનમાં રૂા. 350 કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના 12.8 કી.મી.ના હયાત રસ્તાને વિકસાવવામાં આવશે. જે અંતર્ગત નારોલ જંક્શનથી વિશાલા જંકશન વચ્ચેના છ-માર્ગીય રસ્તાને આઠ માર્ગીય રસ્તા તરીકે વિકસાવાશે. હયાત સાબરમતી નદી પરના પુલ 6 લેન બનાવાશે. આ ઉપરાંત રૂા.128 કરોડના ખર્ચે વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના 5.28 કી.મી.ની ચાર-માર્ગીય લંબાઇના રસ્તાને છ-માર્ગીય બનાવી એલીવેટેડ કોરીડોર પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવાશે.
ઇસ્કોન ફ્લાય ઓવરથી 3 નવા બ્રિજ બનશે: આ ઉપરાંત રૂા. 110 કરોડના ખર્ચે સરખેજ–ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય-ઓવર વચ્ચે 4 કી.મી. લંબાઇ 3 એલિવેટેડ ફ્લાય-ઓવરનુ નિર્માણ કરાશે.

સૌરાષ્ટ્રને આ ફાયદો: રૂા. 257 કરોડના ખર્ચે મહુવાથી અમરેલી વચ્ચે બાધડા સુધીના 50.48 કી.મી.ના 10 મીટર પહોળા રસ્તાનુ નિર્માણ કરાશે. જેના પર 2 રેલવે ઓવરબ્રિજ અને નવા પુલીયાનુ નિર્માણ થશે. આ રોડ પર 100 કી.મી.ની સ્પીડ સુધી વાહનો દોડી શકશે. આ ઉપરાંત રૂા. 451.50 કરોડના ખર્ચે બાધડા – અમરેલીના 50.48 કી.મી.નો 10 મીટર પહોળો રસ્તો બનાવાશે. જેમા અમરેલી બાયપાસ તેમજ બગસરા જવા માટે નદીના પુલ તથા રેલવે ઓવરબ્રિજનુ નિર્માણ કરાશે.
12000 કરોડના ખર્ચે રસ્તા બન્યા: છેલ્લા 6 માસમાં રાજ્યના 33 જિલ્લાઓમાં રૂા.12,200 કરોડના ખર્ચે વિવિધ માર્ગ નિર્માણ-વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણના કામોની કામગીરી પ્રગતિ હેઠળ છે.

