મોંઘવારીમાં બેફામ વધારા વચ્ચે આવતા દિવસોમાં પણ વ્યાજદર વધારાનો દૌર ચાલુ જ રહેવાનો મહત્વનો નિર્દેશ રિઝર્વ બેન્કના ગવર્નર શશીકાંત દાસે કર્યો છે. તેઓએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે વિદેશી ચલણો સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘટવા નહી દેવાય. કરન્સી માર્કેટમાં અસ્થિરતા રોકવી પડશે અને તેના માટે આવતા મહીને યોજાનારી ધિરાણ દરની સમીક્ષા બેઠકમાં વ્યાજદર વધારવામાં આવશે.
શું કહે છે ગવર્નર: આગામી મહિને મોંઘવારીને લગતુ નવુ અનુમાન જાહેર કરવામાં આવશે. રેપોદરમાં વધારો કરવામાં આવશે. જો કે કેટલો વધારો થશે તેનો ફોડ પાડયો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ મહિનાની શરુઆતમાં જ રિઝર્વ બેન્કે રાતોરાત રેપોરેટમાં 0.40 ટકાનો વધારો કરી દીધો હતો. મોંઘવારીને કાબુમાં લેવા અને ચાલુ ખાતાની ખાધને નિયંત્રણમાં રાખવા માટે આ કદમ ઉઠાવવામાં આવ્યું હતું.

