વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષ મજબુત થવા માટે કમર કસી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં તથા સૌરાષ્ટ્ર કચ્છમાં દરેક પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રને મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. આ વખતેની ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર થવાની છે. આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં મજબુત કરવા માટે સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે.
એક મહિનામાં એમનો આ બીજો ગુજરાત પ્રવાસ છે. જ્યાં તેઓ સૌરાષ્ટ્રના સેન્ટર સમા શહેર રાજકોટમાં આવીને રોડ શૉ કરવાના છે. મેં મહિનાના બીજા અઠવાડિયામાં કેજરીવાલ રાજકોટ આવવાના છે. જ્યાંથી તેઓ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. રાજકોટમાં એક રોડ શૉની સાથોસાથ એક મહાસભાનું પણ આયોજન કરાયું છે. હાલમાં એવી પણ શક્યતાઓ છે કે, તેઓ રાજકોટમાં રાત્રી રોકાણ કરીને પક્ષના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. આમ આદમી પાર્ટી પ્રમુખ શિવલાલ બારસિયાએ જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના રોડ શૉ માટે રાજકોટ ક્લેક્ટરની મંજૂરી માંગવામાં આવી છે. જ્યારે શાસ્ત્રી મેદાનમાં મહસભા યોજાશે. મંજૂરી મુદ્દે ક્લેક્ટર સાથે એક ખાસ બેઠક પણ થવાની છે.

મેં મહિનાના બીજા અઠવાડિયામાં કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે. ગુજરાત પ્રવાસ અંગેની તમામ માહિતી એક પત્રકાર પરિષદ યોજીને જાહેર કરવામાં આવશે. હકીકત એવી પણ છે કે, ભાજપના મોટા નેતા જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. એ પહેલા કૈલાશ વિજયવર્ગીય પણ ગુજરાતની મુલાકાતે આ નેતાઓ ગુજરાતમાં ભાજપના કાર્યાલય કમલમમાં બેઠક કરવાના છે. જેને લઈને રાજકોટથી વિજય રૂપાણી અને વજુભાઈ વાલા જેવા દિગ્ગજ નેતાઓ પણ અમદાવાદ પહોંચી ગયા છે.
જેમ જેમ દિવસો જતા જાય છે એમ એમ ગુજરાતના રાજકારણમાં એક ફેરફાર જોવા મલી રહ્યો છે. કેન્દ્રના કહેવાતા નેતાઓની ગુજરાતમાં દોડધામ વધી ગઈ છે. ખાસ કરીને સ્ટાર કહેવાતા નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને ગાંધીનગરમાં બંઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જોકે, આગામી દિવસોમાં બીજા નેતાઓ પણ ગુજરાત આવી શકે છે. એટલે એક વાત નક્કી છે કે, આવનારા દિવસોમાં ગુજરાતમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ થશે.

