મહાનગર અમદાવાદમાં કોઈ એવું કહે કે, સસ્તામાં ફ્લેટ કે મકાન આપવી દઈએ તો ચેતજો. આ ટોળકી ઠગ પુરવાર થઈ શકે છે. અમદાવાદ પોલીસે આવી જ એક ટોળકીના સભ્યની ધરપકડ કરી છે. જેણે જે ફ્લેટ અસ્તિત્વમાં જ નથી એ ફ્લેટ વેચી માર્યો હતો. આમ તેણે એક વ્યક્તિને બરોબરનો ચૂનો લગાવ્યો હતો. છેત્તરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિએ એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
તપાસમાં એક ટોળકી સક્રિય હોવાનું જાણવા મળ્યું હતું. જેમાના એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે આ ટોળકીનો મુખ્ય આરોપી ફરાર છે. ભેજાબાજો લોકોને છેત્તરવા માટે અનેક પ્રકારના પેંતરા કરી રહ્યા છે. એલિસબ્રીજ પોલીસે યગ્નેશ શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. જે અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહે છે. જેણે વિજય ઢાંચા નામના વ્યક્તિ સાથે મળીને લોકો પાસેથી ફ્લેટ વેચી પૈસા લીધા હતા. લોકો સાથે આ રીતે છેત્તરપિંડી કરીને પૈસા પડાવી લીધા હતા. પણ હકીકત એવી હતી કે, ભેજાબાજે એ ફ્લેટનું નામ આપી દીધું જે ફ્લેટનું ખરેખર અસ્તિત્વ જ ન હતું.

ફરિયાદી ગોપાલ કારિયાના પુત્રએ અમદાવાદમાં હેન્ડી ક્રાફ્ટનો વ્યવસાય કરવા માટે આંબાવાડીમાં મકાન લેવાનું નક્કી કર્યું હતું. પણ દલાલ મારફતે આંબાવાડી વિસ્તારમાં દલાલોએ પહેલા એક ફ્લેટ બતાવ્યો હતો. જેની કિંમત રૂ.17.70 લાખ હતી. પછી ભેજાબાજોએ એક ખોટું બાનાખત બનાવી નાંખ્યું. કાગળ પર કોટો ફ્લેટ ઊભો કરીને ખોટા દસ્તાવેજ બનાવીને ખોટા શેર સર્ટિફિકેટ તૈયાર કરી એલોટમેન્ટ પણ આપી દીધા. પછી ફરિયાદી પોતાની ખોટી જાળમાં ફસાવી નાંખ્યો હતો. આમ ઠગ ટોળકીએ લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.
જ્યારે ફ્લેટનો કબજો લેવા માટે પહોંચ્યા ત્યારે ફ્લેટ પર બેંકનું સિલ લાગેલું હતું. જે બ્લોકનું બુકિંગ હતું એવો કોઈ ફ્લેટ જ ન હતો. આસપાસના વ્યક્તિઓને જ્યારે આ અંગે પૂછપરછ કરી ત્યારે લોકોએ કહ્યું કે, 302સી એવી કોઈ વિંગ સોસાયટીમાં જ નથી. આટલું સાંભળતા ફરિયાદીના પગ નીચેથી જમીન સરકી ગઈ. પછી ગોપાલ કારિયાને પોતે છેત્તરાયા હોવાનો અનુભવ થયો હતો. પછી જ્યારે યગ્નેશ શાહ અને વિજય ઢાંચાનો સંપર્ક કરાયો ત્યારે ભૂલ થઈ ગઈ હોવાનું કહ્યું. થોડો સમય આપવાની વાત કરી.પછી પૈસા પાછા આપી દેવાનું કહેતા મામલો ગરમાયો. યગ્નેશ શાહે એમને પોતાના ઘરે બોલાવીને પત્ની મારફત પોતાના ખોટા અપહરણની ફરિયાદ ઈસનપુરમાં કરી નાંખી.

