ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીએ 6 વર્ષ પહેલા રાજકોટ બિલ્ડર અનિલ જેઠાણી પાસેથી રૂપિયા 5 લાખ લીધા હતાં. ત્યારબાદ તેમને આપેલો ચેક બેંકમાંથી પરત ફરતા બિલ્ડરે કોર્ટમાં ફરિયાદ કરી હતી. અનેક નોટીસો બાદ પણ ફિલ્મ નિર્માતાએ નાણા નહીં આપતા આ કેસ કોર્ટમાં ચાલ્યો હતો. 6 વર્ષ બાદ કોર્ટે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને 1 વર્ષની સજા ફટકારી ચેકની રકમ મુજબનું વળતર 60 દિવસમાં ચુકવી આપવા માટે હુકમ કર્યો છે.

કેસની વિગત પ્રમાણે, ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી અને રાજકોટના બિલ્ડર અનિલભાઇ ધનરાજભાઇ જેઠાણી સાથે નાણાકીય લેતીદેતીના સંબંધો હોવાથી આર્થિક વ્યવહાર કર્યા હતા. તે પૈકી રાજકુમાર સંતોષીએ આપેલો રૂ.5 લાખનો ચેક બેંકમાંથી વસૂલાયા વગર પરત ફર્યો હતો. જેથી અનિલભાઇ જેઠાણીએ તેમના એડવોકેટ પી.એચ.કોટેચા મારફત નોટિસ પાઠવી હતી. તેમ છતાં રકમ ચૂકવવાની દરકાર નહીં કરતા અંતે રાજકોટ કોર્ટમાં 2016માં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી અને રાજકોટના બિલ્ડર અનિલ જેઠાણી વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદનો અંતે ગુરુવારે આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી પક્ષે રોકાયેલા એડવોકેટે તેમના અસીલ સામે કોઇ પણ જાતનો ગુનો નથી. તેઓ જવાબદાર વ્યક્તિ છે. હાલ તેઓ વૃદ્ધાવસ્થામાં હોય તેમને ઓછામાં ઓછી સજા કરવા રજૂઆત કરી હતી. બીજી તરફ ફરિયાદપક્ષે વિવિધ અદાલતોના ચુકાદાઓને ટાંકી આરોપીને કાયદાની જોગવાઇ મુજબ સજા થવી જરૂરી હોવાની રજૂઆત કરી હતી. બાદમાં રાજકોટના પાંચમા એડિ. સિનિયર સિવિલ જજ એન.એચ.વસવેલિયાની કોર્ટમાં ગુરુવારે કેસ ચાલી જતા રાજકુમાર સંતોષીને એક વર્ષની સજા અને ચેકની રકમ મુજબનું વળતર 60 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે. અને જો વળતરની રકમ નિયત સમયમાં ન ચૂકવે તો વધુ એક વર્ષની સજાનો આદેશ કર્યો છે.

