ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય ચહલપહલ વધી ગઈ છે. જુદી જુદી રાજકીય પાર્ટીઓ પગલાં ભરી રહી છે. BTPના ધારાસભ્ય મહેશ વસાવા અને ઉપાધ્યક્ષ પરેશ વસાવાએ રવિવારે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે ખાસ બેઠક કરી હતી. અરવિંદ કેજરીવાલ સાથેની આ મુલાકાત બાદ અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. આવનારી ચૂંટણીમાં BTP-AAPએક થઈને ચૂંટણી લડી શકે છે. ચૂંટણી પહેલા કેજરીવાલની નજર ગુજરાતમાં વસતા આદિવાસી મતદારો પર રહેલી છે એવું લાગે છે.

રાજકીય સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, દિલ્હીમાં થયેલી આ બેઠકના પડઘા ગુજરાતમાં પડી શકે છે. આવનારી ચૂંટણીમાં BTP-AAP સાથે મળીને ભાજપ સામે બાંયો ચડાવશે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે એક કલાક સુધી બેઠક ચાલી હતી. જેમાં ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી પણ સાથે રહ્યા હતા. BTP-AAP સાથે મળીને ભાજપને હંફાવશે એવી વાત આ બેઠકમાં સ્પષ્ટ થઈ છે. ગુજરાતમાં આ ગઠબંધન સક્રિય થશે એવી ચોક્કસ માહિતી રાજકીય સુત્રોમાંથી મળી છે. એટલે ગુજરાતના રાજકારણમાં એક મોટો વળાંક આવી શકે છે.

પંજાબમાં ભવ્ય સફળતા પ્રાપ્ત થયા બાદ બીજો મોટો ટાર્ગેટ ગુજરાતમાં જીત મેળવવાનો છે. આ માટે અત્યારથી એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં રહેતા આદિવાસી મતાદારો પર એમની નજર છે. આગામી ચૂંટણીમાં આદિવાસી સમાજના મતદારોને સાથે રાખીને આમ આદમી પાર્ટી ભાજપ સામે મોરચો ખોલશે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, સુરત, ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જનજાતિની વસતી વધારે અને પ્રભાવશાળી રહી છે.

જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા અને પંચમહાલ જ્યારે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા આદિવાસીઓ માટેના મુખ્ય વિસ્તારો મનાય રહ્યા છે. વિધાનસભાની 27 બેઠકો અનુસુચિત જનજાતિ માટે અનામત છે. વર્ષ 2017માં 15 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. જ્યારે ભાજપે 9 અને BTPએ એક તથા મોરવાહડફની બેઠક પર અપક્ષને જીત મળી હતી.

વિધાનસભાની 26 બેઠકમાંથી 17 બેઠક અહીંથી આવે છે. 1990માં જનતા દળ પાસે 26 અનામત બેઠકોમાંથી સૌથી વધુ 11, ભાજપે 6, કોંગ્રેસે 7 અને અપક્ષોએ 2 બેઠક પર સફળતા પ્રાપ્ત કરી હતી. વર્ષ 1995ની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ 14 જ્યારે કોંગ્રેસને 8 બેઠકો પર સફળતા પ્રાપ્ત થઈ હતી.

