રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને અમેરિકન ઉદ્યોગપતિ એમેઝોનના માલિક જેફ બેઝોસ વચ્ચે ફ્યુચર રિટેલ માટે ચાલી રહેલી લડાઈમાં અંબાણી બેઝોસને પાછળ છોડી દેતા જણાય છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટાકંપની રિલાયન્સ રિટેલે હાલમાં જ ફ્યુચર રિટેલ તરફથી લીઝ ભાડાની ચૂકવણી ન કરવાને કારણે તેના 200 રિટેલ સ્ટોર્સ પર નિયંત્રણ મેળવ્યું હતું. કંપની આગળ જતાં 250 વધુ રિટેલ સ્ટોર્સ પર નિયંત્રણ મેળવી શકે છે, જે ફ્યુચર રિટેલના રિટેલ સ્ટોર્સના ત્રીજા ભાગની સમકક્ષ છે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સે 29 ઓગસ્ટ 2020 ના રોજ ફ્યુચર રિટેલ સાથે તેના બિઝનેસ અને સંપત્તિ માટે રૂ. 24,713 કરોડનો સોદો કર્યો હતો. એમેઝોને આ ડીલ સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે તેણે ફ્યુચર રિટેલની પ્રમોટર કંપની ફ્યુચર કુપન્સ પ્રાઈવેટ લિમિટેડ (FCPL)માં 49 ટકા ભાગ ખરીદ્યો લીધો હતો. એમેઝોન સમગ્ર મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. જ્યાં કોર્ટે ઘણા મામલાઓમાં એમેઝોનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ગયા ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન, એમેઝોને અચાનક કહ્યું કે આ વિવાદ વાટાઘાટો થકી ઉકેલવો જોઈએ, જેના માટે ફ્યુચર ગ્રુપ પણ સંમત થઈ ગયું છે. આ દરમિયાન, એમેઝોન કંપનીના વકીલ ગોપાલ સુબ્રમણ્યમે કહ્યું, “દુકાનો હવે બચી નથી….ચાલો વાત જ કરીએ” આ સમગ્ર મામલે જાણકારોનું કહેવું છે કે રિલાયન્સે ફ્યુચર રિટેલના સ્ટોર્સ કબજે કર્યા બાદ હવે આ ડીલમાં એમેઝોન માટે કંઈ બચ્યું નથી કારણ કે જ્યારે સ્ટોર જ નહીં હોય તો મામલો શું હશે. બીજી તરફ, રિલાયન્સની કાર્યવાહીનું ફ્યુચર રિટેલ તરફથી તા.26 ફેબ્રુઆરીના રોજ એક નિવેદન આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે તેની કામગીરીમાં ઘટાડો કરી રહી છે જેથી નુકસાનને ઘટાડી શકાય.
કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર, રિલાયન્સે સ્ટોર્સ ચલાવવા માટે ફ્યુચર કર્મચારીઓને રાખવાનો નિર્ણય કર્યો છે. હાલમાં, ફ્યુચર રિટેલના દેશમાં 1700 થી વધુ સ્ટોર્સ છે જેમાં 30 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે. ફ્યુચર રિટેલ પર 4 બિલિયન ડૉલરથી વધુનું દેવું છે. જોકે, આ વાતના એંઘાણ ત્યારે જ મળ્યા હતા કે, થોડા સમય પહેલા રવિવારના દિવસે મેટ્રો અને મેગા સિટીમાં બિઝ બાઝારના સ્ટોર બંધ રહ્યા હતા. રવિવારના દિવસે મોટભાગના પરિવારો અઠવાડિયાનો સામાન લેવા માટે જતા હોય છે. પણ રવિવારે સ્ટોર બંધ રહેતા આ અંગે અનેક તર્ક વિતર્ક ચર્ચામાં રહ્યા હતા.