રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના નેતા નીતિન ભારદ્વાજ પર કોંગ્રેસના નેતાઓ દ્વારા કરાયેલા 500 કરોડની જમીન કૌભાંડના આક્ષેપનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. ભાજપના નેતા અને આગેવાન નીતિન ભારદ્વાજે આજે કોર્ટેમાં પહોંચી વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર અને દંડક સી.જે. ચાવડા સહિતના કોંગી નેતાઓ પર માનહાનીનો દાવો કર્યો છે.

22 ફેબ્રુઆરીના રોજ કોંગ્રસના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર અને દંડક સી.જે. ચાવડાએ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, રાજકોટની આસપાસમાં 20 કિલોમીટરના વિસ્તારમાં આવેલા અલગ અલગ સરવે નંબરની 2031 સુધી હેતુફેર ન થઈ શકે તેવા કેટલાક સરવે નંબરની કિંમતી જમીનના ઝોન ચેન્જ (હેતુફેર) કરાવી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટ-2ના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણી તેમજ સુપર સીએમ તરીકે ઓળખાતા નીતિન ભારદ્વાજ સહિતના ભાજપના નેતાઓએ 500 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે.

તેઓએ એવી પણ માંગ કરી છે કે, ભાજપના મળતિયા બિલ્ડર્સ તેમજ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે આ કૌભાંડ કર્યું છે. જો સીબીઆઈ મારફતે તપાસ કરવામાં આવે તો શહેરી વિકાસ મંત્રાલય અને રૂડાના કેટલાક અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવે તેવી શંકા વ્યક્ત કરાઈ છે. કોંગ્રેસના નેતાઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સહારાની પેટા કંપની સહારા ઈન્ડિયા હોમ કોર્પોરેશન (લખનઉ)ને ટાઉનશિપ બાંધવા માટે રાજકોટની બાજુમાં મોટી જગ્યા ઉપલબ્ધ હતી.

2 દિવસ પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમેરિકાના પ્રવાસ બાદ ભારત પરત ફરતા તેમણે પણ વિપક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસના દંડક સી.જે. ચાવડાને એડવોકેટ અંશ ભારદ્વાજ મારફત બદનક્ષી બદલ કાનૂની નોટિસ આપી હતી. તેમજ 15 દિવસની અંદર કોંગીનેતાઓને લેખિતમાં માફી માગવા જણાવ્યું હતું અને તમામ આરોપ પરત ખેંચી લે. જો કે કોંગી નેતાઓએ માફી માંગવાનો ઈનકાર કરી દેતા ભાજપના નેતા અને આગેવાન નીતિન ભારદ્વાજે કોર્ટમાં પહોંચી કોંગીનેતાઓ સામે માનહાનીનો દાવો કર્યો છે.

