રાજ્યમાં એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્તીઓના શિક્ષણ માટે રાજ્ય સરકારે ફ્રી-શીપ કાર્ડ યોજના અંતર્ગત મળતી શિષ્યવૃત્તિનો બોજ વિદ્યાર્થીઓ વતી રાજ્ય સરકાર ઉપાડશે તેવી જાહેરાત રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી છે.

રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ આજે કેબિનેટ બેઠકોની વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના દિશાનિર્દેશ પ્રમાણે આજે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ઉચ્ચ શિક્ષણના નોન એફઆરસી અભ્યાસક્રમોમાં ખાનગી કોલેજ, યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતા એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાને રાખીને આ યોજના હેઠળ શિષ્યવૃતિની રકમ ચુકવવામાં આવશે.

તે માટે નવી એફઆરસી અંગે વિચારણા કે નિર્ણય થાય નહીં ત્યાં સુધી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2019-20 માટે તા. 9-2-2022ના પત્રથી જે નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબની વ્યવસ્થા શૈક્ષણિક વર્ષ 2020-21 અને તે પછીના વર્ષોમાં યથાવત્ત રહેશે. તેમજ આદિજાતી વિકાસ વિભાગ દ્વારા પણ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને થતી શિષ્યવૃત્તિની ચુકવણી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લેવાયલા નિર્ણય અનુસાર થશે. એસસી કેટેગરીના 6 હજાર વિદ્યાર્થીઓ માટે રૂ. 12 કરોડ તથા એસટી કેટેગરીના 12 હજાર વિદ્યાર્થીઓ માટે રૂ. 24 કરોડનું વધારાનું ભારણ રાજ્ય સરકાર ઉપાડશે.

