ગીર સોમનાથ જિલ્લાના કાજલી ગામે રહેતા 95 વર્ષના વૃદ્ધા વાસુબા કરશનભાઈ ઝાલાને આ ઉંમરે પણ વાંચન અને લેખનનો જબરો શોખ છે. છેલ્લા 50 વર્ષથી તે ધાર્મિક પુસ્તકો વાંચી રહ્યાં છે અને 11 વર્ષથી પોતાના હાથે ધાર્મિક પુસ્તકો પણ લખી રહ્યાં છે.

અત્યારસુધીમાં તેમણે શિવપૂરાણ, મહાભારત, રામાયણ, ભાગવતગીતા જેવા અનેક ધાર્મિક પુસ્તકોનું વાંચન કરી અને તેનો સાર કાઢીને ફરીથી પોતાની જાતે પુસ્તકો લખી રહ્યાં છે. છેલ્લા 11 વર્ષમાં 50થી 60 જેટલા મોટા પુસ્તકો લખ્યાં છે. તથા હજુ પણ તેવો જીવન પર્યંત આ ધાર્મિક પુસ્તકો લખવાનું કાર્ય ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કરી રહ્યાં છે.

આ અંગે તેણીના પુત્ર વકિલ સુરપાલસિહ ઝાલાએ જણાવ્યું છે કે, તેઓ સવારે ચાર વાગ્યે ઉઠી જાય છે ત્યારબાદ ભગવાનના પૂજા પાઠ અને આરતી કર્યાં બાદ સાત વાગ્યાથી લખવાનું શરૂ કર્યું છે. આખો દિવસ ધાર્મિક લેખન કર્યા બાદ સાંજે ધાર્મિક સિરિયલો પણ જુએ છે.

