અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં દરરોજ નવી નવી કડીઓ ખુલી રહી છે. અગાઉ એક મૌલવી સહિત બે આરોપીની ધરપકડ કરાઈ છે. એ પછી મોરબીમાંથી એક શખ્સની ધરપકડ કરાઈ હતી. હવે ગુજરાત ATSની ટીમે દિલ્હીથી વધુ એક મૌલવીને પકડી લીધો છે. દિલ્લીના મૌલાના કમરગની ઉસ્માનીની દિલ્લીથી અટકાયત કરાઈ છે. કટ્ટરવાદી વિચારધારા ધરાવતાં મૌલાના કમરગની ઉશ્કેરણીજનક ભાષણો આપે છે. મૌલવીને હવે અમદાવાદ લાવી કાયદેસરના પગલાં લેવાશે. શનિવારે જ આરોપી મહંમદ ઐયુબ યુસુબભાઈ જાવરાવાલાને કોર્ટેમાં રજૂ કરી 14 દિવસના રીમાન્ડ માગવામાં આવ્યા હતા.
જોકે કોર્ટે આ સામે 8 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી હતી. આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને લઈ પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત ATS ની ટીમે ધંધુકામાં આવેલી કેટલીક મસ્જીદમાં પણ સર્ચ ઑપરેશન કર્યું હતું. આરોપીઓએ ધંધૂકાની સર મુબારક બુખારીની દરગાહની પાછળ ખેતરમાં જે હથિયારથી ફાયરિંગ કર્યું હતું. તે પિસ્તોલ અને બાઇક મૂક્યું હતું. પોલીસે આ મુદ્દામાલ જપ્ત કર્યા હતા. ગૃહમંત્રીએ મૃતક કિશનના પરિવારની પણ મુલાકાત લીધી હતી.

જોકે, કેસમાં આગળ તપાસ થાય એ હેતુથી રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર કેસ ગુજરાત ATSને સોંપવા આદેશ કર્યા હતા. હવે સોશિયલ મીડિયાથી લઈને આરોપીઓના કોની કોની સાથે સંપર્ક હતા તે અંગે ATS તપાસ કરશે. બી.એચ ચાવડા (ATSના DySP)એ જણાવ્યું હતું કે, રિમાન્ડના આધારે આરોપીઓના પાકિસ્તાન કનેક્શન છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ઉપરાંત સોશિયલ મીડિયા, મોબાઈલ ડેટા સહિતની પણ તપાસ થશે. અત્યાર સુધીમાં કુલ છ વ્યક્તિઓની ધરપકડ આ કેસમાં કરવામાં આવી છે.

