વલસાડ શહેરમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે પોલીસે રાત્રિ કફર્યૂની કડક અમલવારી શરૂ કરાવી છે. વલસાડમાં રાત્રિ કફર્યૂની કડક અમલવારીનો એક નવદંપતીને લગ્નની પ્રથમ રાતે જ અનુભવ થયો હતો. વલસાડ શહેરની બહાર લગ્નપ્રસંગ પૂર્ણ કરી રાત્રિ કફર્યૂ દરમિયાન શહેરમાં પ્રવેશી રહેલાં નવદંપતી અને તેનાં પરિવારજનોની પોલીસે અટકાયત કરી હતી. નવદંપતીને લગ્નની રાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવી પડી હતી.
પોલીસ લગ્નપ્રસંગની ગાઈડલાઈન્સનો જ્યારે ભંગ થાય ત્યારે સામાન્ય રીતે વરરાજા કે દુલ્હનનાં પરિવારજનો સામે કાર્યવાહી કરતી હોય છે. દુલ્હા અને દુલ્હન સામે માનવતાને ધોરણે કાર્યવાહી કરાતી નથી હોતી, પરંતુ, ગુજરાતમાં આ પ્રથમ એવી ઘટના છે, જેમાં વલસાડ પોલીસે કફર્યૂ ભંગના મામલામાં દુલ્હા અને દુલ્હનને પણ છોડ્યાં નહોતાં.તમામ સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી.વલસાડ શહેરમાં પોલીસની રાત્રિ કફર્યૂની કડક અમલવારીને કારણે પારડી વિસ્તારમાં લગ્ન પૂર્ણ કરી પરત ફરી રહેલાં નવદંપતીએ સુહાગરાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવાનો વારો આવ્યો હતો. નવદંપતીની સાથે અન્ય પરિવારજનોએ પણ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવવી પડી હતી. સવારે તમામનો જામીન પર છુટકારો થયો હતો.

