કોરોના કાળમાં અનેક લોકો મંદિના ભરડામાં સપડાયા હતાં. જે પૈકી અનેક લોકોએ પોતાના રોજગાર ધંધા બંધ કરી દીધા હતા. તો બીજી તરફ અનેક લોકોએ પોતાના ધંધાને બચાવવા માટે વ્યાજે રૂપિયા લીધા હોવાનું પણ સામે આવ્યું છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની હતી. જેમાં કોરોના કાળમાં પોતાના ધંધાને બચાવવા માટે રૂપિયા વ્યાજે લીધા બાદ યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો હતો. વ્યાજખોરોના ત્રાસથી યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ અંગેની પોલીસમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે યુનિવર્સિટી રોડ ઉપર આવેલા આકાશવાણી ચોક નજીક આવેલા યોગીનગરમાં રહેતાઅને યુનિવર્સિટી રોડ ઉપર એક્સ સલુન ધરાવતા મનીષ બિપીનભાઈ ચુડાસમા(ઉ. 40) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સાંજના સમયે ઝેરી દવા પી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને દવાની ઝેરી અસર થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ અંગેની જાણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફને કરાતા પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં મનીષભાઈને ધંધામાં જરૂર પડતા તેણે ડેનીશ પટેલ પાસેથી દરમહિને રૂપિયા 3000ના વ્યાજદરે રૂપિયા 1.50 લાખ, હરેશભાઈ પાસેથી દરમહિને રૂપિયા 2500ના વ્યાજદરે 50 હજાર અને વનરાજ કાઠી પાસેથી દર મહિને રૂપિયા 3 હજારના વ્યાજદરે રૂપિયા 25 હજાર લીધા હતાં. કોરોના કાળ બાદ ધંધામાં મંદી આવતા તે વ્યાજખોરોને પૈસા ચુકવી શક્યો ન હતો.

વ્યાજખોર વનરાજ કાઠીએ મનીષનું મોટરસાઈકલ પડાવી લીધું હતું. તેમજ ત્રણેય વ્યાજખોરોએ પોતાના પૈસાના વ્યાજની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. અવાર નવાર પૈસાની ઉઘરાણી કરીને માનસીક ત્રાસ આપતા હતા. જેના કારણે યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

