ગુજરાત રાજ્યના રાજકારણમાં તો નો રીપિટ થિયરીનો પ્રયોગ થયો છે. પણ હવે આ પોલીસી પોલીસ વિભાગમાં પણ લાગુ થવા માટે જઈ રહી છે. હવેથી પોલીસ વિભાગમાં પણ નો રીપિટ થિયરી લાગુ પડશે. ખાસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર સૌથી ખરાબ અને બદનામ થયેલા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ બદલી દેવામાં આવશે. અમદાવાદ, સુરત, રાજકોટ તથા ભાવનગર સહિત મેગા સિટીમાં ટૂંક સમયમાં આ કવાયત શરૂ થશે.
આ માટે ગૃહવિભાગના રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની વિગત મંગાવી છે. જેથી સૌથી ખરાબ કામ કરતા પોલીસ સ્ટેશનમાં રાઈટર્સથી લઈને પીઆઈ સુધીના સ્ટાફને બદલી શકાય. ચોક્કસ વિસ્તારના પોલીસ સામે સતત આવી રહેલી ફરિયાદને ધ્યાને લઈને આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે. પોલીસ પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના સૌથી વધારે આક્ષેપ થાય છે. પોલીસની આ છાપ પ્રજામાં સુધારવા માટે ગૃહવિભાગ સક્રિય થયું છે. આ માટે ગૃહવિભાગ આકરાં પગલાં લેવા માટે જઈ રહ્યું છે. શહેરી વિસ્તારમાં જે પોલીસ સ્ટેશનની હદમાં ગુના તથા અસામાજિક પ્રવૃતિઓ વધી હશે એવા બદનામ પોલીસ સ્ટેશનનો સંપૂર્ણ સ્ટાફ બદલી દેવાશે. રાજ્યના ઘણા મહાનગરમાં પોલીસ સ્ટેશન ખોટા કામ માટે બદનામ થયેલા છે. એટલે એના વિસ્તારમાંથી ગુનાખોરી અને અસામાજિક પ્રવૃતિઓ થઈ રહે છે. જેથી આવી પ્રવૃતિઓને ડામવા તથા પોલીસની છબી ઉજળી કરવા માટે પગલું લેવાયું છે. આ માટે સૌ પ્રથમ પોલીસ તંત્રમાં સુધારો લાવવા નિર્ણય કરાયો છે.

રાજ્યના મહાનગર સુરતથી આ ડ્રાઈવ સૌથી પહેલા શરૂ થશે. એ પછી અમદાવાદ અને અન્ય શહેરમાં પણ આ પગલાં ભરવામાં આવશે. ઘણી વખત એવી સ્થિતિ સામે આવી છે કે, પોલીસ સ્ટેશનમાં માત્ર પીઆઈની બદલી કરી દેવાથી સ્થિતિ બદલાતી નથી. તેથી એની ટીમ પણ જે તે પ્રવૃતિઓમાં મદદરૂપ હોય છે. તેથી આવા પોલીસ સ્ટેશનની એક યાદી તૈયાર કરી છે. જ્યાં રાઈટરથી લઈને પીઆઈ સુધીનો સ્ટાફ બદલી દેવાશે. આ માટે તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હોવાનું ગૃહવિભાગના સુત્રોનું કહેવું છે.

