કોરોના વાયરસની મહામારીમાં સતત વધતા જતા કેસને પગલે સંક્રમીતોની સંખ્યામાં ઉછાળો આવવા લાગ્યો છે. સૌરાષ્ટ્ર યુનિ.ને પણ કોરોનાનું ગ્રહણ લાગતા જ એક માસમાં આયોજિત કરાયેલો યુવક મહોત્સવને યુદ્ધના ધોરણે મોકૂફ રાખી દેવામાં આવ્યો છે. સાથોસાથ આગામી તા. 1 ફેબ્રુઆરીના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાનાર પદવીદાન સમારોહ વર્ચ્યુઅલ યોજવો કે નહીં ? તે અંગે સરકારનું માર્ગદર્શન માંગવામાં આવેલ છે. આ અંગે હજુ સુધી કોઈ પ્રકારના નિર્ણય લેવાયા નથી.
યુનિર્વસિટીના આ પદવીદાન સમારોહનો ઉચ્ચ ગુણાંક હાંસલ કરનારા 125 તેજસ્વી છાત્રોને ગોલ્ડ મેડલ તેમજ વિવિધ ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓને પદવી આપવા અંગેની તૈયારીઓ યુનિ. તરફથી શરૂ કરી દેવામાં આવી હતી. આ અંગે યુનિ.ના કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસની મહામારી વકરતા સરકારની ગાઈડલાઈન મુજબ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીઓને ફરજીયાત વેક્સીનેશન લેવાની રહેશે. તેમજ ચાલુ માસમાં આયોજીત કરાયેલો યુવક મહોત્સવ પણ મોકૂફ રાખી દેવામાં આવ્યો છે. કોરોનાના ફૂંફાડાના પગલે રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટ પતંગ મહોત્સવ સહિતના કાર્યક્રમો રદ કરી નાખવામાં આવેલા છે. જેના પગલે સરકારની ગાઈડલાઈન મુજબ યુવક મહોત્સવ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવેલો છે. રાજકોટમાં પણ દિવસે દિવસે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. એક બાજુ પરીક્ષાઓ આવી રહી છે એવામાં શિક્ષણ વિભાગે હજુ સુધી કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી.

રાજકોટ IMA પ્રમુખ ડૉ. પ્રફુલ કમાણીએ જણાવ્યું હતું હાલમાં 500 જેટલા આઈસીયુ બેડ વેન્ટીલેટર સાથે તૈયાર કરવામાં આવ્યા છે. 1500 બેડની તૈયારી કરવામાં આવી છે. બીજી વેવમાં જે રીતે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી એના કરતા ઘણી સારી તૈયારીઓ કરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ સહિત કુલ 10 જેટલી હોસ્પિટલ કોરોના સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વખતેની ત્રીજી વેવમાં સૌથી વધારે જોખમ બાળકો પર છે. વહીવટી તંત્ર તરફથી બાળકો માટે ઑક્સિજન વાળા 250થી 300 બેડ તથા આઈસીયુ યુનિટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરની મોટી હોસ્પિટલ પાસે ઑક્સિજનના પોતાના પ્લાન્ટ છે.

