મંગળવારે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ભારત બાયોટેક કંપનીની નાક દ્વારા આપવામાં આવતી રસીને બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપી શકે છે. કંપનીએ આ માટે સરકાર પાસેથી મંજૂરી માંગી છે. ભારત બાયોટેકનું એવું કહેવું છે કે જો બૂસ્ટર ડોઝ એવા લોકોને આપવામાં આવે જેમણે બે ડોઝ લીધા હોય તો તેની નાકથી અપાતી રસી એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત બાયોટેકે સરકારને મોકલેલા પ્રસ્તાવમાં કહ્યું છે કે નાકથી અપાતી રસીનો ઉપયોગ બૂસ્ટર ડોઝ તરીકે કરી શકાય છે. આ તે લોકો માટે અસરકારક સાબિત થઈ શકે છે જેમણે કોવેક્સિનન અથવા કોવિશિલ્ડ બંનેની માત્રા લીધી હોય. આ માટે કંપની પાંચ હજાર લોકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવા માંગે છે. બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચે 6 મહિનાનું અંતર હોવું જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્લિનિકલ ટ્રાયલ પછી નોઝલ બૂસ્ટર ડોઝને માર્ચ સુધીમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી શકે છે. સરકારે પહેલાથી જ સીરમ ઇન્સ્ટિટ્યૂટના કોવોવેક્સ, કોર્વિવેક્સ અને એન્ટી-કોવિડ ગોળી મોલુપીરાવીરને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગયા મહિને એક ટ્વીટમાં કહ્યું હતું – ભારતને અભિનંદન. અમે કોવિડ સામેના યુદ્ધમાં આગળ વધી રહ્યા છીએ. ભારત સરકારે બે રસી અને એક ટેબ્લેટને મંજૂરી આપી છે. આ કોવોવેક્સ, કોર્વિવેક્સ અને એન્ટી-કોવિડ ગોળી મોલુપીરાવીર છે. કોર્વિવેક્સ રસી એ ભારતની પ્રથમ RBD પ્રોટીન સબ્યુનિટ રસી છે.
તેને હૈદરાબાદ સ્થિત કંપની બાયોલોજિકલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ભારતમાં બનેલી આ ત્રીજી રસી છે. નોઝલ વેક્સીનની સાથોસાથ બાળકો માટેની વેક્સીન અંગે પણ જોરશોરથી કામ ચાલું થઈ ગયું છે. તાજેતરમાં જ 15થી 18 વર્ષના બાળકો માટે વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં વેક્સીનેશન મેગા ડ્રાઈવ અનુસંધાને ગુજરાત રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓને સ્કૂલમાં રજીસ્ટ્રેશન સાથે વેક્સીન આપવામાં આવી રહી છે. શાળાઓ, આઈટીઆઈ કે શાળાએ ન જતા બાળકોને પણ સમાવી લેવાશે. આ સિવાય દિવ્યાંગ સંસ્થાઓ, અનાથાશ્રમો તથા માનસિક રીતે અસ્વસ્થ હોય એવા બાળકોને સાચવતી સંસ્થાઓને પણ આવરી લેવામાં આવશે. તા. 7 જાન્યુઆરીએથી મહાઅભિયાન હેઠળ એક પણ બાળક રહી ન જાય તેવા પ્રયાસ કરાશે. આ માટે રાજ્યના મન્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો સાથે અભિયાનની તૈયારીઓની ચર્ચા વિચારણા માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

