દેશના અનેક રાજ્યમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક ગતિએ વધી રહ્યા છે. એવામાં જે તે રાજ્યની સરકારે કામ સિવાય બહાર ન નીકળવાની અને ગાઈડલાઈન્સનું પાલન કરવાની પ્રજાને અપીલ કરી છે. પણ ગોવામાંથી એક એવું ચિત્ર સામે આવ્યું છે. જેના પરથી એવું કહી શકાય કે, પ્રવાસઘેલા મુસાફરોને કોઈ પ્રકારની ગાઈડલાઈન્સની અસર થતી નથી. આ ઉપરાંત ત્રીજી વેવના જોખમની પણ કોઈ બીક નથી. નવા વર્ષનું સેલિબ્રેશન કરવા તથા ‘પાર્ટી-શાર્ટી’ કરવા માટે ઘણા લોકો ગોવા પહોંચ્યા હતા. ત્યાંનો એક વીડિયો સામે આવ્યો છે.
કોરોના વાયરસના તથા ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવો વેગ પકડતો હવો છતાં ગોવામાં ભીડ ઉમટી છે. અહીંની શેરીઓમાં આવવાનું પ્રવાસીઓએ બંધ કર્યું નથી. શનિવાર રાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોવાના રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી રહી છે. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં જોવા મળે છે કે, નોર્થ ગોવાના લોકપ્રિય બાગા બીચની નજીક આવેલા રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. એવું માનવામાં આવે છે કે આમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા ગોવા પહોંચે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ રજા માણવા ગોવાના જુદા જુદા સિટીમાં પહોંચ્યા હતા. પણ સૌથી વધારે ભીડ બાગાબીચ રોડ પર જોવા મળી હતી. ભારતના અન્ય રાજ્યોની જેમ ગોવામાં પણ કોરોના વાયરસના સંક્રમણના કેસ વધી રહ્યા છે. પીટીઆઈના એક રીપોર્ટ અનુસાર રવિવારે રાજ્યમાં 10 ટકાના પોઝિટિવ રેટ સાથે 388 નવા કેસ નોંધાયા હતા. રાજ્યના અધિકારીઓએ જણાવ્યું કે દર્દીઓની સંખ્યામાં વધારો થવાનું કારણ પ્રવાસીઓ હોઈ શકે છે.
This was Baga Beach in Goa ,last night. Please take the Covid scenario seriously. This is a Royal welcome to the Covid wave 👋 Mostly tourists. pic.twitter.com/mcAdgpqFUO
— HermanGomes_journo (@Herman_Gomes) January 2, 2022
ઘણા રાજ્યોએ કોરોના વાયરસના કેસમાં વધારો રોકવા માટે ફરીથી નિયંત્રણો લાગુ કરી દીધા છે. ખાસ કરીને દિલ્હી અને કોલકાતા જેવા શહેરમાં મિની લોકડાઉન જેવા પગલાં લેવામાં આવ્યા છે. ગોવાએ પણ કેટલાક નિયંત્રણો લાગુ કર્યા છે. ડિસેમ્બરમાં, ગોવા સરકારે જાહેરાત કરી હતી કે કેસિનો અને સિનેમાઘરો 50 ટકા ક્ષમતા પર કામ કરશે. માત્ર તેઓને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે જેમણે વેક્સીનના બે ડોઝ લીધા છે. અથવા જેનો રીપોર્ટ કોવિડ નેગેટિવ છે. કોવિડ-19ના સંચાલન માટે ગોવાની નિષ્ણાત સમિતિએ રાત્રિ કર્ફ્યુ લાદવાનું સૂચન કર્યું છે. જો કે, મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે તહેવારોની મોસમને કારણે 3 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યુ લાદવો શક્ય નથી.

