રાજકોટ સહિત જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ રાજકોટ શહેરમાં આવેલી શાળાઓમાં બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળ્યું છે. જેના પગલે હવે ડીડીઓએ શહેર અને જિલ્લાની શાળાઓમાં કોરોનાની સ્થિતિ અંગેનો રિપોર્ટ દરરોજ સોંપવા માટે આદેશ કર્યો છે.

આ અંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું છે કે, રાજકોટ તેમજ જિલ્લાની શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ધોરાજી, જેતપુર સહિતની તાલુકાઓની શાળાઓમાં કોરોનાના પોઝિટીવ કેસ આવતા શાળાઓ બંધ કરવી પડી છે. ત્યારે અન્ય શાળાઓ હાલ શરૂ છે. તો શાળાઓમાં બાળકોમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે હવે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી એક્શન મોડમાં આવ્યાં છે.

તેમજ શહેર અને જિલ્લાની તમામ શાળાઓએ કોરાનાનો દૈનિક રિપોર્ટ જિલ્લા પંચાયતને કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તેમજ દરેક શાળાઓને ઓનલાઈન શિક્ષણ અને ઓફલાઈન શિક્ષણ શરૂ રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

