માતા પિતા વગરનું જીવન બાળકો માટે ક્યારેક બ્લેક એન્ડ વ્હાઈટ બની જાય છે. આવી સ્થિતમાં દીકરી માટે જીવનમાં અનેક પડકારો ઊભા થાય છે. પણ ઘણી વખત એવી સંસ્થાઓ દેવદૂત બનીને આવે છે જેની ક્યારેય કોઈએ કલ્પના પણ કરી ન હોય. રાજકોટમાં આવેલા દીકરાના ઘર વૃદ્ધાશ્રમ તથા સમર્પણ ટ્રસ્ટ તરફથી સતત ચોથા વર્ષે વ્હાલુડીના વિવાહનું મસમોટું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 22 દીકરીઓએ ફેરા ફર્યા હતા. જીવનસાથે સાથે જીવન જીવવા માટે સપ્તપદીના વચન આપ્યા હતા.

ખાસ વાત એ છે કે, જેના માતા પિતા બંને આ દુનિયામાં નથી એવી દીકરીઓના અહીં લગ્ન થયા હતા. ઘણી દીકરીઓ એવી હતી જેના પિતા હયાત ન હતા. આવી દીકરીઓ માટે રાજકોટના આંગણે માંડવો શણગારવામાં આવ્યો હતો. પછી ધામધૂમથી એના લગ્ન લખાયા હતા. આ અંગે સંસ્થાના એક વ્યક્તિએ કહ્યું હતું કે, દીકરાનું ઘર આમ તો ઘણી બધી સામાજિક પ્રવૃતિઓ કરે છે. ખાસ કરીને દીકરો માટે ઘણા કામ કર્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. પણ વ્હાલુડીના વિવાહ એ સૌનો પ્રિય કાર્યક્રમ છે. જેમાં દીકરીના લગ્ન વિધિ અનુસાર લખવામાં આવે છે. એની મહેંદીની રસમ પણ યોજાઈ છે. ફેરા ફરાય છે અને કરિયાવર પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 88 દીકરીઓએ આ આયોજનમાંથી જીવન સંસાર શરૂ કર્યો છે.

આ એવી દીકરીઓ છે જેના માતા પિતા નથી અથવા પિતા હયાત નથી. આવી દીકરીઓને પરણાવવી એ પણ એક લ્હાવા સમાન છે. આ વર્ષે 22થી વધારે દીકરીઓએ અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા હતા. આ કાર્યક્રમ માટે 171 કાર્યકર્તાઓએ દિવસ રાત મહેનત કરી હતી.

વિવાહ શરૂ થતા અનોખો આનંદ વ્યક્ત થયો છે. જાણે કોઈ કરોડપતિ પરિવારની દીકરી પરણતી હોય એવો માહોલ અહીં જોવા મળ્યો છે. જાન પ્રસ્થાન અને ડીજેના તાલે વરરાજાને પોંખવામાં આવ્યા હતા. એ પછી દાતાઓએ કન્યાદાન કરી, સંસ્થાઓએ દીકરીઓનું પૂજન કર્યું હતું.

બલુન અને ફૂલ મારફતે દીકરીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજવી ઠાઠમાઠ સાથે દીકરીઓએ લગ્ન કર્યા હતા. એટલું જ નહીં આખું ઘર ભરાઈ જાય એટલું કરિયાવર આપવામાં આવ્યું હતું. સોના ચાંદીના ઘરેણા સહિત 225 વસ્તુઓ આપવામાં આવી હતી. એક દીકરીએ કહ્યું હતું કે, પિતાનું કોરોનામાં અવસાન થયું હતું. પછી ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. પિતાની હયાતી નથી પણ ક્યારેય વિચાર્યું ન હતું કે મારા પણ આવા લગ્ન થશે. જાણે કોઈ રાજકુમારીના લગ્ન હોય એવું આજે લાગી રહ્યું છે. આ માટે અમે તમામ આયોજકોનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.

