ચેન્નઈ, ગુરુવાર
તમિલનાડુમાં આજે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ્સના 33 નવા કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. કોરોના પોઝિટિવ આવેલા લોકોના જીનોમ સિક્વેન્સિંગ બાદ આ મામલા સામે આવ્યા છે. તેની સાથે રાજ્યમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને 34 થઈ છે. આના પહેલા અહીં માત્ર એક જ ઓમિક્રોનનો કેસ હતો.
તમિલનાડુના આરોગ્ય મંત્રી એમ. એ. સુબ્રમણ્યને કહ્યુ છે કે અમને પુષ્ટિ મળી છે કે વધુ 33 લોકોને નવો ઓમિક્રોન વેરિએન્ટ છે. આજે સવારે આરોગ્ય સચિવ જે. રાધાકૃષ્ણન સાથે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા સુબ્રમણ્યમે કહ્યુ હતુ કે 33 મામલામાંથી 26 ચેન્નઈમાં, 4 મદુરૈમાં, 2 કેસ તિરુવનમલાઈમાં અને 1 કેસ સલેમમાં મળ્યો છે. સુબ્રમણ્યમે કહ્યુ છે કે તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર છે અને તેઓ આઈસોલેશનમાં છે.
તેમણે કહ્યુ છે કે શંકાસ્પદ મામલા ઘણાં સમયથી મોનિટરિંગમાં હતા. મંત્રીએ કહ્યુ છે કે તેમાથી કેટલાક જલ્દીથી નેગેટિવ આવે તેવી શક્યતા છે અને તેમને રજા આપવામાં આવે તેવી સંભાવના છે. મહત્વપૂર્ણ છે કે તમિલનાડુમાં 15 ડિસેમ્બરે ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો, જ્યારે નાઈજીરિયાથી આવેલા એક 47 વર્ષીય પ્રવાસીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને જીનોમ સિક્વેન્સિંગ બાદ તેના ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત હોવાની પુષ્ટિ મળી હતી.

