અમરાઈવાડીમાં પરિણીતાએ પતિ-જેઠ અને તેની નણંદ વિરુદ્ધ દહેજની માંગણી તેમજ શારિરીક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. અમરાઈવાડી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે પરિણીતા સાસરિયાઓના ત્રાસથી કંટાળી પોતાના પિયરમાં રહે છે. આજથી 7 વર્ષ પહેલા યુવતીના લગ્ન ભાવેશ નામના યુવક સાથે થયા હતા.
આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પરિણીતાએ જણાવ્યું છે કે લગ્નના શરૂઆતના 6 મહિના સુધી બધુ જ સારુ હતું. પરંતુ 6 મહિના બાદથી પરિણીતાનો પતિ-જેઠ અને નણંદ દહેજની માંગણી કરવા લાગ્યા હતા તેમજ દરરોજ નાની-નાની બાબતો પર પરિણીતાને ત્રાસ આપતા હતા. પરિણીતા પોતાનો ઘરસંસાર બગડે નહીં તે માટે બધુ સહન કરતી હતી. સતત ત્રાસથી કંટાળીને અંગે પરિણીતા પોતાના પિયર માતા અને ભાઈઓ સાથે રહેવા જતી રહી હતી. જોકે તેના સાસરિયા તરફથી તેને પરત લેવા માટે કોઈપણ આવ્યું નહીં અને પરિણીતાને કહ્યું કે, તારે ઘરે આવવું હોય તો તારા પિયરથી પૈસા અને દાગીના લઈ આવજે.સાસરિયાઓ દ્વારા સતત દહેજની માંગણીથી પરિણીતા ખુબ જ ટેન્સનમાં રહેતી હતી. ત્યારે ગઈકાલે બપોરના સમય યુવતી દૂધ લેવા માટે ઘરેથી નીકળી તો રસ્તામાં તેના જેઠ મુકેશે તેને રોકી હતી અને ‘મારે મકાન બનાવવું છે

તો તારા પિયરથી પૈસા લઈ આવ અથવા હાલમાં મને 10 હજાર રૂપિયા લઈને આપ. અને તારે મારા ભાઈના ઘરે ન રહેવું હોય તો મારી સાથે આવી જા’. આ વાત કરતા જ પરિણીતા ગુસ્સામાં આવી ગઈ હતી અને તેણે જેઠને બે લાફા મારી દીધા હતા. ત્યારબાદ ત્રાસથી કંટાળી તેણે ઉંદર મારવાની દવા પણ પી લીધી હતી. જોકે બાદમાં ઉલટી થઈ ગઈ હતી અને 108 દ્વારા એલજી હોસ્પિટલ લઈ જવાઈ હતી.

