ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા પાર્ટીની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. નવી ટીમમાં અનુભવી નેતાઓની સાથે સંગઠનાત્મક કામગીરીમાં સક્રિય રહેલા નવા ચહેરાઓને પણ મહત્વ આપવામાં આવ્યું છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિત અનેક નેતાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે.
નવી રાષ્ટ્રીય ટીમમાં કુલ 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે. તેમાં ગુજરાતમાંથી વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે સ્થાન મળ્યું છે. રામ માધવ, તીરથ સિંહ રાવત અને બૈજયંત પાંડા સહિતના નેતાઓને પણ ઉપાધ્યક્ષની જવાબદારી આપવામાં આવી છે.
રાષ્ટ્રીય મહાસચિવ તરીકે સ્મૃતિ ઈરાની ઉપરાંત વિનોદ તાવડે, સુનિલ બંસલ અને સતીશ પુનિયા સહિતના નેતાઓને સ્થાન મળ્યું છે. બી.એલ. સંતોષની સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી તરીકેની જવાબદારી યથાવત રાખવામાં આવી છે.
ગુજરાતને પણ નવી ટીમમાં મહત્વનું પ્રતિનિધિત્વ મળ્યું છે. રોહન ગુપ્તા અને જગદીશ પટેલને રાષ્ટ્રીય મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ડો. હેમાંગ જોશીને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત પિયુષ ગોયલને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ, તરુણ ચુઘને રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારી અને મહેન્દ્ર પાંડેને રાષ્ટ્રીય કાર્યાલય મંત્રી બનાવવામાં આવ્યા છે. સંબિત પાત્રાને નોર્થ ઈસ્ટ સંયોજકની જવાબદારી આપવામાં આવી છે.
નવી ટીમમાં વિવિધ મોરચાઓના રાષ્ટ્રીય અધ્યક્ષોની પણ નિમણૂક કરવામાં આવી છે. પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે અનુભવી નેતાઓ અને નવા ચહેરાઓ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ નવી ટીમમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતના ચાર નેતાઓને રાષ્ટ્રીય સ્તરે મહત્વની જવાબદારી મળતા રાજ્ય ભાજપમાં પણ આ જાહેરાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

