વાંકાનેર તાલુકાના જુના વઘાસિયા ગામમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે.
આ મામલે ફાતમબેન ઉસ્માનભાઈ માણસીયા (ઉં.વ. 50)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કોઈપણ સમયે અજાણ્યા ચોરે તેમના મકાનની ઓસરીના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ બેડરૂમમાં રાખેલા કબાટમાંથી બે સોનાના ચેન, એક સોનાનો કાપ, એક સોનાની વીંટી, બે સોનાના દાણા, બે સોનાની કડી, છ ચાંદીના સાકળા તેમજ રોકડા રૂપિયા 1.35 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
ચોરી ગયેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ અંદાજે રૂપિયા 1.71 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

