મોરબી શહેરના ગ્રીન ચોક કંસાર શેરી વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા સંજયભાઈ સગુણભાઈ કાગડા (ઉ.વ.42) દ્વારા મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદમાં રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલી સોમનાથ સોસાયટી-2 ખાતે રહેતા સોલંકી મહાવીરસિંહ જીતેન્દ્રસિંહને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ફરિયાદ અનુસાર આરોપીએ સંજયભાઈનો મોબાઇલ ફોન મેળવી તેમાં રહેલી વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ કર્યો હતો. આરોપીએ આધાર કાર્ડ, પાન કાર્ડ અને એટીએમ કાર્ડની વિગતો મેળવી ફરિયાદીની જાણ બહાર રૂપિયા 62,000 તથા રૂપિયા 11,000ની લોન ઉપાડી હતી. જેમાંથી માત્ર રૂપિયા 11,000ની લોન ભરપાઈ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત આરોપીએ આશનદાસ જીયોભાઈ રબારીના નામે પણ રૂપિયા 40,000 તથા રૂપિયા 26,500ની લોન કરાવી હતી. ફરિયાદી અને તેમના સાથીના નામે લેવાયેલી લોનની રકમ આજદિન સુધી પરત ન ભરાતા બંને સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

