વાંકાનેર તાલુકાના કાછીયાળા ગામના ખેડૂત ગોરધનભાઈ માવજીભાઈ સાપરાએ આરોપી ગોપાલભાઈ પેથાભાઈ જોગરાણા અને ભુરાભાઈ ભવાનભાઈ જોગરાણા સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ગોપાલભાઈ પોતાની બહેન સાથે ફરીયાદી ગોરધનભાઇની જમીનમાં વાવેલી બાજરીના ડાંડર કાપવા ગયા હતા. અગાઉ થયેલી બોલાચાલીને કારણે ગોરધનભાઈએ તેમને ડાંડર કાપવાની ના પાડી હતી. આ વાતથી ગોપાલભાઈ ઉશ્કેરાઈ ગયા અને ફરીયાદીને “સાંજ નહીં પડવા દઉં” તેવી ધમકી આપી ત્યાંથી નીકળી ગયા હતા.
ત્યારબાદ ગોરધનભાઈ ખેતીકામ માટે દલડી ગામ ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે દલડી ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક ગોપાલભાઈએ ભુરાભાઈને બોલાવી બંનેએ મળીને લાકડીઓ વડે ગોરધનભાઈ પર હુમલો કર્યો હતો. ફરિયાદમાં જણાવાયું છે કે હુમલાખોરોએ શરીર અને માથાના ભાગે માર માર્યો તેમજ ગાળો પણ આપી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

