મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે મહેન્દ્રનગરથી મોરબી-કંડલા હાઈવે તરફ બનતા નવા રોડ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે એક કોન્ટ્રાક્ટર દ્વારા સગીર વયના બાળ કિશોર પાસેથી રોડ પર પથ્થરો દૂર કરાવવાનું, સાવરણા વડે સફાઈ કરાવવાની તેમજ સળિયાના સેન્ટિંગ જેવી જોખમી મજૂરી લેવાતી હતી.
આ મામલે આરોપી કોન્ટ્રાક્ટર ભગવાનસિંહ નારાયણસિંહ ચૌહાણ રહે. હરિઓમ પાર્ક પાસે, મોરબી (મૂળ વતન સતલાસણા, જી. મહેસાણા) વિરુદ્ધ બાળ અને તરૂણ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમની કલમ ૩, ૭ અને ૧૪(૧) તેમજ જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટની કલમ ૭૯ મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે.

