મોરબી શહેરમાં વધતી જતી રખડતા પશુઓની સમસ્યાને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના ANCD વિભાગ દ્વારા માર્ચ 2025થી રખડતા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.શહેરમાં ગાય, ભેંસ અને બકરી જેવા પાલતું પશુઓને રાખવા માટે પશુ માલિકો પાસે પૂરતી જગ્યા ન હોવાના કારણે આ પશુઓ રસ્તા પર આવી જતા હોય છે. જેના કારણે નાગરિકોને અડચણો ઉભી થાય છે તેમજ ટ્રાફિક સમસ્યાઓ પણ સર્જાય છે.
આ સમસ્યાના સ્થાયી નિરાકરણ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા નાની વાવડી અને સબ જેલ નજીક એનિમલ હોસ્ટેલ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ હોસ્ટેલમાં પશુ માલિકો પોતાના પશુઓની યોગ્ય રીતે દેખરેખ અને જાળવણી કરી શકશે. મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે એનિમલ હોસ્ટેલમાં પશુઓને રાખવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા, ફી તથા નિયમોની વિગત હોસ્ટેલ શરૂ થયા બાદ જાહેર કરવામાં આવશે.મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ પશુ માલિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવી આ યોજનાનો લાભ લે અને શહેરને રખડતા પશુઓની સમસ્યાથી મુક્ત બનાવવામાં સહકાર આપે.

