મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા મહેન્દ્રનગરની ધર્મ મંગલ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ રાજેશભાઈ શેરસીયા (ઉ.વ. 29)એ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગંભીર મારામારી અને અપહરણ અંગે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ગીરીશભાઈ મગનભાઈ આખજા, રાજુભાઈ ઝાલા આહીર, ભરતભાઈ બાટી ગઢવી, અલ્તાફભાઈ જીવાણી અને ઇમરાન ઉર્ફે ગટ્ટી સહિતના આરોપીઓ સાથે ફરિયાદી વિશાલભાઈની નાણાકીય લેવડદેવડ હતી, જેમાં આરોપીઓને વિશાલભાઈ પાસેથી રૂ.13 લાખ લેવા બાકી હતા.
આ દરમિયાન, વિશાલભાઈ મોરબીના ભક્તિનગર સર્કલ નજીક ગોકુલનગર જવાના રસ્તા પર આવેલ મંડપ સર્વિસના ગોડાઉનમાં હાજર હતા ત્યારે આરોપીઓ જીજે-36-એએફ-8771 નંબરની ક્રેટા કારમાં આવી પહોંચ્યા હતા. આરોપીઓએ વિશાલભાઈને લોખંડની કોશ અને હથોડી વડે મારમારી કરી બળજબરીથી રૂપિયા કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
પછી આરોપીઓએ વિશાલભાઈનું અપહરણ કરીને તેમને કારમાં બેસાડી જાંબુડિયા તરફ આવેલ હિમાલિયા કારખાનામાં લઈ જઈ ગોંધી રાખ્યા હતા. ત્યાં તેઓએ વિશાલભાઈનો મોબાઇલ ફોન પણ છીનવી લીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

